Gujarat

ઘરકંકાસમાં હત્યા કરી પત્ની-પુત્રીની લાશને દાટી દીધી

મહેસાણા જિલ્લાના Vadnagar તાલુકાના શાહપુર(વડ) ગામમાં માતા-પુત્રીની હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. આ કેસમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગિરિશ નામના યુવકે રવિવારે વડનગર સિવિલ હોસ્પિટલ પરથી ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. તેના પાસેથી મળેલી સુસાઇડ નોટમાં તેણે પોતાની પત્ની અને નાની દીકરીની હત્યા કરીને લાશોને ઘરમાં જ દાટી દીધી હોવાનો ચોંકાવનારો ઉલ્લેખ કર્યો હતો.સોમવારે Vadnagar Policeએ મામલતદારની હાજરીમાં ઘરમાં ખોદકામ કરતા બે માનવ કંકાલ મળી આવ્યા હતા. મૃતક યુવતીના દાદા દ્વારા આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

માહિતી મુજબ, ગિરિશ બાબુભાઈ પરમારે ચાર વર્ષ પહેલા પ્રિયંકાબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. 18 સપ્ટેમ્બર 2025ના રોજ ગિરિશે પત્ની અને બે વર્ષની દીકરી ગુમ થઈ હોવાનો નાટક રચ્યું હતું અને સાસરી પક્ષને ખોટી માહિતી આપી હતી. લાંબા સમય સુધી બંનેનો પત્તો ન લાગતાં અંતે એપ્રિલ 2026માં ગુમશુદગીની અરજી કરવામાં આવી હતી.પોલીસ તપાસ તેજ બનતા ગભરાયેલા ગિરિશે 3 મે 2026ના રોજ આત્મહત્યા કરી હતી. તેના પાસેથી મળેલી સુસાઇડ નોટમાં તેણે સ્પષ્ટ લખ્યું હતું કે પત્ની પ્રિયંકા અને દીકરી પરિની હત્યા કરીને ઘરના રૂમમાં જમીન નીચે દાટી દીધી છે.

આ માહિતીના આધારે પોલીસે ઘરમાં તપાસ કરતા નવા પ્લાસ્ટર કરાયેલા રૂમમાંથી ખોદકામ કરીને બંનેના કંકાલ બહાર કાઢ્યા. કંકાલોને પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

ઘરકંકાસ બન્યો કારણ

ફરિયાદ મુજબ, ગિરિશ અને પ્રિયંકા વચ્ચે ઘરેલુ મુદ્દાઓને લઈને વારંવાર ઝઘડા થતા હતા. આ અદાવતમાં ગિરિશે પત્ની અને પુત્રીની હત્યા કરીને પુરાવા નષ્ટ કરવા માટે લાશોને દાટી ઉપર પ્લાસ્ટર કરી દીધું હોવાનું સામે આવ્યું છે.

હાલ પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.